
નીચેના અંશને વાંચો અથવા સાંભળો
11:1બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા. 2મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.
3તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે. 4પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.
5માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. 6તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા. 7ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
8શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’” 9ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
10 પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’” 11તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”
12ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’” 13ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. 14ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.
15 હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’” 16ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
પુનરુત્થાન તથા જીવન હું છું
17હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. 18હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું. 19માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા. 20ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
21ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ. 22પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’” 23ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”
24માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’” 25ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. 26અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” 27તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.
ઈસુ રડ્યા
28એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’” 29એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.
30ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. 31ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા. 32ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.
33ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને, 34પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ. 35ઈસુ રડ્યા.
36એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા! 37પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”
લાજરસ સજીવન કરાયો
38ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. 39ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’” 40ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”
41ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. 42તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”
43એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’” 44ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
કહાણીને તમારા પોતાના શબ્દોમાં ફરીથી કહેવા માટે થોડો સમય લો. તમે તેને ઉંચે બોલવા અથવા લખવા માંગશો. જો તમને તે યાદ કરવામાં મુશ્કેલી પડે, તો તેને ફરીથી વાંચો અથવા સાંભળો.
જ્યારે તમને લાગે કે તમે વાર્તા સાથે પરિચિત છો, ત્યારે નીચેના પ્રશ્નો પર વિચાર કરવા અથવા ચર્ચા કરવા માટે થોડો સમય લો.
Get Discovery Bible Studies on your phone
Discover copyright ©2015-2026 discoverapp.org
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.